5 નવેમ્બરે, 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહને દાટી દીધા હતા. ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ હત્યાકાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ACF શૈલેષ ખાંભલાએ વનકર્મી યુવતીને પામવા પત્ની, પુત્ર-પુત્રીનો કાંટો કાઢી નાંખ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં ફરજ દરમિયાન એક વનકર્મી મહિલા સાથે શૈલેષ ખાંભલાને મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી. જોકે, પોલીસે આ મામલે યુવતીને બોલાવી 1 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત લાલ રંગના લિક્વિડનું ઘેરાતા રહસ્યને લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
પોલીસે રિમાન્ડ મેળવવા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કર્યા ભાવનગર ત્રિપલ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ વધુ તીવ્ર બન્યો છે. ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ હવે આ કેસમાં દરેક પાસાને ખંગોળી રહી છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં 7 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપીનો વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ પોલીસની પૂછપરછમાં આરોપી શૈલેષ ખાંભલાને એક વનકર્મી યુવતી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે વર્ષ 2022થી વાતચીત થતી હતી અને ખાસ તો આ હત્યાનો બનાવ બન્યો તે પહેલાં-પછીના દિવસોમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. જેને લઈને 18 નવેમ્બરની રાત્રિના વનકર્મી યુવતીને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરી તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે, પ્રેમ પ્રકરણ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા આ સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ BSC-કેમેસ્ટ્રી કર્યું છે. જેથી તેણે મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે કે નહીં તે માટે ઘટનાસ્થળે મૃતક પાસેથી મળી આવેલી લાલ રંગની બોટલની તપાસ માટે એફએસલમાં મોકલવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી ફિલ્ડ વિઝીટમાં તળાજા જતો રહ્યો હતો. આરોપી તળાજા જતી વખતે કપડાં શેત્રુંજી નદી ફેકીં દીધા હતા. તેમજ તમામના ચપ્પલ એક થેલીમાં નાખી શહેરના દેસાઈનગર વિસ્તારમાં નાખી દીધા હતા.
ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી? આરોપી શૈલેષ ખાંભલા પરિવારની હત્યા કરી શોધખોળના બહાને સુરત જતો રહ્યો હતો. આ હત્યાના ગુનામાં આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં. વધુ તપાસમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરે લીધેલા કપડાં, કોટાસ્ટોન (પથ્થર) કપડાંમાં ભરી દીધા તેના સેમ્પલ અને ઘટનાસ્થળેથી ઓશિકા, ચાદર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ તમામ સેમ્પલ ભાવનગર પોલીસે કબજે કરી ગાંધીનગર અને જૂનાગઢ FSL લેબ ખાતે મોકલી આપ્યા છે.
કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ જધન્ય અપરાધમાં ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાને લઈને ભાનવગર પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટલે કે, તારીખ 25 નવેમ્બરના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શેતાન શૈલેષે પત્ની અને પુત્ર-પુત્રીને પતાવી દીધાં, જાણો ભાવનગરમાં ACFના ઘરમાં શું શું થયું?
તારીખ: 5 નવેમ્બર, 2025 સ્થળ: ફોરેસ્ટ કોલોની, ભાવનગર સમય: સવારના 7.00થી 8.00
ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલપહલ હતી. આમ તો અવાવરૂ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવરજવર જોવા મળતી નથી, પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીનાં ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો… તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે, જોકે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો, પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રિક હતી.
5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સૂરજ દાદા ઊગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણા લોકો ઊંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં, પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતાં આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી.
શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો.
5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો.